નારપુરા ગ્રામ પંચાયતના સરપંચ મધુબેન રમેશભાઈ વાઘેલા અને તલાટી કમ મંત્રી દિલીપભાઈ વણકર એ માહિતી આપતા જણાવ્યું કે, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ પી.એ.આઇ (પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ) હેઠળ કુલ 9 થીમ આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાંથી થીમ નંબર 8 – “પંચાયત વીથ ગુડ ગવર્નન્સ એટલે સુશાસન સાથે સરપંચ” હેઠળ નારપુરા ગામે 81.56 નો અગ્રણી સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
શું છે થીમ નંબર 8?
આ થીમ હેઠળ સુશાસન અને ગ્રામ વિકાસ માટેના 26 માપદંડોને આધારે પંચાયતનું મૂલ્યાંકન થાય છે. જેમાં GPDP (ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન) બાબતની ગુણવત્તામાં સુધારો થાય તેવી બાબતો જેમ કે, કેટલા વિભાગો મારફત જીપીડીપી તૈયાર થાય છે – જેમાં શિક્ષણ, પોષણ, આરોગ્ય વગેરેનો સમાવેશ થાય છે.
નારપુરા ગામ બન્યું ડિજિટલ
નારપુરા ગ્રામ પંચાયતએ CSC (કોમન સેન્ટર સર્વિસ) માધ્યમથી લોકો સુધી સેવાઓ પહોંચાડવામાં અત્યંત સફળતા મેળવી છે. ગામની પંચાયત આજની તારીખે નીચેની સેવાઓ માટે સજ્જ છે –
- કમ્પ્યુટરાઈઝ્ડ કામગીરી
- ઈન્ટરનેટ કનેક્ટિવિટી
- ઓનલાઇન પોર્ટલ પર ખાતાઓનું નિયમિત અપડેશન
- GPDP યોજના અંતર્ગત હાથ ધરાયેલા વિકાસકાર્યોનો ખુલ્લો હિસાબ
લોકસહભાગી વિકાસ
અહીં મહિલા સભા, બાળસભા, અને ગ્રામસભા જેવી વિવિધ સભાઓ દ્વારા વિસ્તૃત જનસહભાગી વિકાસ થાય છે. વિકાસની દરેક યોજનામાં લોકોની સીધી ભાગીદારી અને માહિતીની પારદર્શિતા છે. ઉપરાંત, પંચાયતની સ્વભંડોળ આવકમાં પણ સતત વધારો થયો છે.
સરપંચશ્રી વાઘેલા મધુબેને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારા નારપુરા ગામમાં હજી પણ સારા કામ થાય એવા પ્રયત્નો હાથ ધરીશું તથા ગ્રામજનોને ઘરે બેઠા સુવિધા મળી રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
નારપુરા ગામના નાગરિકોને આજે ઘેર બેઠા – 7/12 અને 8અના દાખલા, આવકના દાખલા, જન્મ-મરણના દાખલા, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, રેશનકાર્ડ, ખેડૂત પોર્ટલ, આયુષ્માન કાર્ડ અને વહાલી દિકરી યોજના જેવી વિવિધ સેવાઓ સમયમર્યાદામાં સરળતાથી મળી જાય છે.
નારપુરા આજે માત્ર ગામ નથી, પણ ગ્રામ્ય ભારતના નવીન અને શક્તિશાળી વિકાસનું પ્રતિક બની ઊભર્યું છે. ડિજિટલ અને સહભાગી શાસનના સહારા પર નારપુરા આજે સાચા અર્થમાં ‘મોડલ ગ્રામ પંચાયત’ બન્યું છે.